કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંજારની બિલેશ્વર સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષિય શાંતિલાલ શિવજીભાઈ રાઠોડ અને તેમના પત્નીને સતત ૩ દિવસ સુધી ડિજીટલ અરેસ્ટ કરીને સાયબર ચીટરોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવી લીધાં છે. ઘટના અંગે પૂર્વ કચ્છ સાયબર પોલીસે અજાણ્યા શખ્સોના મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબરના સામે ફરિયાદ દાખલ કરી છે. ધનબાદમાં કોલસાની ખાણમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરીને ૩ દાયકાથી નિવૃત્તિ ભોગવતાં શાંતિલાલે ફરિયાદ નોંધાવી છે. શાંતિલાલે જણાવ્યું કે સૌપ્રથમ ૩૦-૧૧-૨૦૨૪ના રોજ તેમને મોબાઈલ પર દિલ્હી પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી મેસેજ આવેલો અને તુરંત વીડિયો કૉલ આવેલો. ફોન કરનાર પોલીસ યુનિફોર્મ પહેરીને બેઠેલો અને તેનો ચહેરો અડધો જ દેખાતો હતો.
મની લોન્ડરીંગ ડ્રગ ટ્રાફિકીંગ કેસની ધમકી આપી
પોલીસ યુનિફોર્મમાં બેઠેલાં અજાણ્યા ચીટરે ‘તમારું નામ મની લોન્ડરીંગ તથા ડ્રગ ટ્રાફિકીંગના કેસમાં છે, તમારા બેન્ક ખાતામાં નાણાંની લેવડદેવડ થયેલી છે, તપાસ પૂછપરછ ચાલું છે, તમે બધું સાચેસાચું કહી દેજો, તમે બુઝુર્ગ છો એટલે અમે તમને મદદ કરશું’ કહી તેવી અડધો કલાક સુધી વાતો કરીને તેમને ડરાવ્યાં હતાં. અડધો કલાક બાદ CBI લખેલાં અશોકસ્થંભવાળા લેટરપેડ પર કેસની વિગતો સાથે નીચે સુનિલ ગૌતમ નામના IPS ઑફિસરની સહી સાથેનો એક લેટરપેડ મોકલાવાયો હતો. ગઠિયાઓએ તેમની એક દીકરી મુંબઈ રહેતી હોવાનું અને એક પુત્ર અમેરિકા રહેતો હોવાની જાણ હોવાનું કહીને તમારી બધી માહિતી અમારી પાસે છે, તેમને પણ તકલીફ થશે કહીને વધુ ડરાવ્યાં હતાં.
ઘરે બીજું કોઈ આવે તો આ અંગે કશી વાત ના કરતાં અને દર અડધા કલાકે તમે સેફ છો તેવો મેસેજ મોકલતાં રહેજો કહીને ડિજિટલ અરેસ્ટ કર્યાં હતાં.
ગઠિયાઓની સૂચના મુજબ શાંતિલાલે પત્ની સાથે અંજારની બેન્કમાં જઈ તેમના ખાતામાંથી ૩૬.૫૦ લાખ રૂપિયા દિલ્હીની જહાંગીરપૂરા બ્રાન્ચના ખાતામાં RTGS કર્યાં હતાં. ગઠિયાઓએ તપાસ પૂરી થયાં પછી રૂપિયા પાછાં મળી જશે તેવો વાયદો કર્યો હતો. ચોથી ડિસેમ્બર બાદ ગઠિયાઓનો કોઈ ફોન આવ્યો નહોતો અને તેમણે રૂપિયા ક્યારે પાછાં મળશે તેવો મેસેજ મોકલતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું સમજાતાં તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ટ્રેસ કરીને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.
Share it on
|