કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં જમીન ધરાવતાં મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજો બનાવીને લેન્ડ માફિયાઓએ જમીન હડપ કરવા પ્રયાસ કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે દર્જ થયો છે. બનાવ અંગે મૃતકના પુત્રએ છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ધીરજ સવજીભાઈ મંજેરી (પટેલ) મૂળ રાપરના અયોધ્યાપુરીના વતની છે અને વર્ષોથી સપરિવાર નવી મુંબઈ વસવાટ કરે છે. તેમના પિતા સવજીભાઈએ વરસામેડી સીમ સર્વે નંબર ૩૪૩, ૩૫૨ પૈકી ૧ અને ૨ની જમીન પોતાના નામે ખરીદેલી. ૧૫-૦૩-૨૦૨૩ના રોજ સવજીભાઈનું નિધન થયું હતું. વ્યવસાયે બિલ્ડર એવા ધીરજે ફરિયાદમાં જણાવ્યું કે ૯-૦૧-૨૦૨૫ના રોજ તેમની વરસામેડીની જમીનના હક્કપત્રમાં નવી નોંધ પડેલી.
તપાસ કરતાં જણાયું હતું કે મુંબઈના રમેશકુમાર સિંગ નામના વકીલ પાસે ચાર જણે પોતે સવજીભાઈના પત્ની, બે પુત્રો અને પુત્રી હોવાનો દાવો કરતું ખોટું સોગંદનામું બનાવડાવ્યું હતું.
જેમાં તેમના પિતાનો ખોટો ફોટો અને ખોટી સહી કરેલી હતી. એટલું જ નહીં, તેની સાથે તૈયાર કરાયેલું બોગસ પેઢીનામું રજૂ કરાયું હતું જેમાં પંચો તરીકે મનીષ કરસનદાસ પારેખ, રાજેશ શશિકાંત કાંબલે અને કેવલ પ્રકાશ દેશમુખ (ત્રણે રહે. મુંબઈ)એ સહીઓ કરેલી.
ધીરજે તપાસ કરતાં બહાર આવ્યું કે ૨૮-૦૫-૨૦૨૪ના રોજ તેમના પિતાની માલિકીની જમીનમાં વધુ એક નોંધ પડી હતી.
આ નોંધની વિગતો મેળવતાં બહાર આવ્યું હતું કે તેમના પિતાએ મરતાં પૂર્વે ૭-૦૭-૨૦૨૨ના રોજ ગ્રેટર મુંબઈના આર.એ. સલાટ નામના નોટરી પાસે એક વસિયતનામું (વિલ) બનાવડાવ્યું હતું. જેમાં તેમણે આ જમીનો પોતાના મૃત્યુ બાદ અરવિંદભાઈ અમરાભાઈ પરમારના નામે કરવા વસિયત કરી હતી. અરવિંદ પોતાની જમીન ખેડે છે, વાવે છે અને પત્નીની સારસંભાળ રાખે છે, તેના પ્રત્યે લાગણી છે તેથી મરણ બાદ આ જમીન હું તેને આપું છું તેવું લખાણ લખેલું હતું. મરણની નોંધના આધારે મુંબઈના નોટરી એસ. સૈયદ અમાનોલ્લાએ ખરાઈ કરી પ્રમાણિત કરી આપ્યું હતું.
વસિયતનામામાં સવજીભાઈનો જે ફોટો લગાવેલો હતો તે તેમના બેસણાં વખતે રાખેલો ફોટો હતો. સહી બનાવટી હતી. આ વસિયત સાચું હોવાની એન.ડી. કાપડી અને હરજી અરજણ નામના બે શખ્સે સાક્ષી તરીકે સહી કરી આપેલી.
હકીકતે તેમની જમીનની દેખભાળ કોઈ અન્ય શખ્સ રાખતો હતો. અંજાર પોલીસે બોગસ પેઢીનામામાં પંચો તરીકે સહી કરનાર ત્રણ શખ્સો તથા અરવિંદ પરમાર, એન.ડી. કાપડી અને હરજી અરજણ નામના શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|