કચ્છખબરડૉટકોમ, અંજારઃ ૮૦ વર્ષની અશક્ત માતા પર ૫૦ વર્ષના હવસખોર દારૂડિયા પુત્રએ આચરેલાં દુષ્કર્મની ઘટના હવે હત્યામાં પલટાઈ છે. પુત્રએ આચરેલાં પાપના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હેમરેજનો શિકાર બનેલી વૃધ્ધ માતાએ બેહોશીની હાલતમાં વેન્ટિલેટર પર દમ તોડી દીધો છે. મૃતક મહિલા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને આજે સવારે સાડા આઠના અરસામાં મૃત્યુ નીપજ્યું છે. અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલે જણાવ્યું કે અમે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા સાથે ગુનાકામે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબ્રુઆરીની રાત્રે નવ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો.
આરોપી દારૂ પીધેલી હાલતમાં હોઈ પોલીસે શરૂમાં તેની સામે દારૂ પીવા સબબ ગુનો નોંધી અટક કરેલી. બાદમાં બીજા દિવસે રાત્રે આરોપીના નાના ભાઈની પત્નીએ ક્રૂરતાપૂર્વક હુમલા સાથે દુષ્કર્મ ગુજારવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચકચાર સર્જી છે.
નરાધમ પુત્રનો કેસ ના લડવા વકીલોનો સંકલ્પ
સગી જનેતાને હવસનો શિકાર બનાવનાર પુત્ર સામે સમાજમાં સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. લોકલાગણીનો પડઘો પડતો હોય તેમ અંજાર બાર એસોસિએશન સાથે જોડાયેલાં ધારાશાસ્ત્રીઓએ પણ આ જઘન્ય અપરાધના આરોપી પુત્રનો કેસ નહીં લડવા સંકલ્પ કર્યો છે. બાર એસોસિએશનના પ્રમુખ હેતલકુમાર સોનપારે કચ્છખબરને જણાવ્યું કે અમે સૌ વકીલ મિત્રોએ સ્વેચ્છાએ આ સંકલ્પ લીધો છે.
Share it on
|