ભુજના નરેન્દ્રભાઈની પ્રવૃત્તિ ‘તાતા ગૃપ’ને સ્પર્શી ગઈ, બનાવી આ ડોક્યુમેન્ટરી
કચ્છખબરડૉટકોમ(ઉમેશ પરમાર, ભુજ) ભુજમાં ખગોળશાસ્ત્ર સહિતની વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસાર કરતાં નરેન્દ્રભાઈ ગોરના નામથી બહુ ઓછાં લોકો અજાણ હશે.
Video :
સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, કચ્છના આકાશમાંથી ઈન્ટરનેશનલ સેટેલાઈટ સ્ટેશન પસાર થવાનું હોય કે ઉલ્કાવર્ષાની આતશબાજી તેનું નિદર્શન કરાવવા નરેન્દ્રભાઈ હરહમેશ તત્પર રહે છે.
માત્ર શોખ અને નિજાનંદ માટે ખગોળશાસ્ત્રના પ્રેમમાં પડી ગયેલાં નરેન્દ્રભાઈ ગોર ખગોળશાસ્ત્રનો પ્રચાર-પ્રસાર કરવા વર્ષોથી એસ્ટ્રોનોમી એમેચ્યોર ક્લબ ચલાવે છે. નરેન્દ્રભાઈની જેવા જ એક અન્ય ખગોળપ્રેમી છે અમદાવાદના તન્મય વ્યાસ. નરેન્દ્રભાઈ અને તન્મયભાઈની પ્રેરક કામગીરીની નોંધ લઈ દેશના અગ્રણી ઑટોમોબાઈલ ગૃપ ‘તાતા મોટર્સ’એ બંનેને લઈ કચ્છના સફેદ રણમાં 18 મિનિટની એક સુંદર ડૉક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું છે. આ બંને ખગોળપ્રેમીની પ્રેરક પ્રવૃત્તિથી લોકો વાકેફ થાય તે આશયથી તાતા મોટર્સ દ્વારા ‘કનેક્ટીંગ એસ્પાયરેશન્સ વીથ નરેન્દ્ર એન્ડ તન્મય’ના નામે આ ડોક્યુમેન્ટરી તૈયાર કરાઈ છે. એટલું જ નહીં, તાતા ગૃપ દ્વારા નરેન્દ્રભાઈ અને તન્મયભાઈને એક-એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાઈ પ્રોત્સાહિત કરાયાં છે.
ડોક્યુમેન્ટરીની થીમ અને તાતા મોટર્સનો હેતુ
તાતા મોટર્સ દ્વારા દેશના વિભિન્ન રાજ્યો-શહેરોમાં એક જ પ્રકારની પ્રેરક કામગીરી કરતાં બે લોકોને એક કરી તેમની પ્રવૃત્તિઓમાંથી લોકોને પ્રેરણા મળે તે હેતુથી ‘કનેક્ટીંગ એસ્પાયરેશન્સ’ નામની ખાસ ડોક્યુમેન્ટરી સીરીઝનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સીરીઝ અંતર્ગત અગાઉ મેઘાલયના બે સંગીતકાર અને બાળકોની કલ્પનાશીલતાને જાગૃત કરી વાંચન તરફ વાળવા પ્રયાસ કરી રહેલાં બે યુવાનો પર એક-એક ડૉક્યુમેન્ટરી બનાવાઈ હતી. નરેન્દ્રભાઈ અને તન્મયભાઈ પર ત્રીજી ડૉક્યુમેન્ટરી બનાવાઈ છે.
સીરીઝમાં ભુજની લેવા પટેલ કન્યાશાળાની છાત્રાઓ ચમકી
આ ડૉક્યુમેન્ટરીમાં નરેન્દ્રભાઈ અને તન્મયભાઈ કેવી રીતે ખગોળશાસ્ત્રના પ્રેમમાં પડ્યાં, ખગોળશાસ્ત્રને લગતી પ્રવૃત્તિઓનો કેવી રીતે પ્રચાર-પ્રસાર કરે છે તે અંગે તેમના જ શબ્દોમાં તેમની જીવનયાત્રા રજૂ કરાઈ છે. ડૉક્યુમેન્ટરી અંતર્ગત નરેન્દ્રભાઈ અને તન્મયભાઈ ભુજની લેવા પટેલ કન્યાવિદ્યાલયની કન્યાઓને ખગોળશાસ્ત્ર વિશે કેવી રીતે માહિતી-માર્ગદર્શન આપે છે તે થીમ નક્કી કરાઈ હતી. જેમાં શાળાના ક્લાસરૂમથી લઈ કચ્છનાં રણમાં છાત્રાઓને રાશિ-ગ્રહો-નક્ષત્રોનું નરેન્દ્રભાઈ-તન્મયભાઈ પ્રત્યક્ષ માર્ગદર્શન આપે છે.