કચ્છખબરડૉટકોમ(ભુજથી ઉમેશ પરમાર દ્વારા) સરહદી કચ્છમાં ચૂંટણી ટાણે અનેક વોટસએપ યુઝર્સનો અજાણ્યા દેશી-વિદેશી નંબરો મારફતે વોટસએપ ગૃપમાં સમાવેશ કરાતાં કુતૂહલ સાથે ચિંતા પણ ફેલાઈ છે. રાપરમાં ‘હું છું રાપર’ તો માંડવીમાં ‘હું છું માંડવી’, નલિયામાં ‘હું છું નલિયા‘ કે ‘નવસર્જન ગુજરાત’ના શીર્ષક તળે વોટસએપના સંખ્યાબંધ ગૃપ બની રહ્યાં છે. નલિયામાં એક વિદેશી નંબર મારફતે અનેક લોકોને ‘નવસર્જન ગુજરાત’ના મેમ્બર તરીકે એડ કરાયાં છે. જે લોકોને વોટસએપ ગૃપમાં એડ કરાય છે તેમાંના મોટાભાગના લોકોને રાજકીય પક્ષો સાથે કોઈ ન્હાવા નીચોવાનો સંબંધ નથી. આવાં એક બે નહીં પરંતુ બસ્સોથી ત્રણસો જેટલાં ગૃપ બને છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ જેમને એડ કરાય છે તે લોકો જે-તે વિસ્તારના સ્થાનિક રહીશો જ હોય છે. રાપરમાં ગૃપ બન્યા બાદ એડમીન પોતે લેફ્ટ થઈ જાય છે! પહેલી નજરે આ રાજકીય પક્ષોનું કરતૂત હોવાની શક્યતા જણાય છે પરંતુ જાણકારો કહે છે કે આ કરતૂત ક્યાંક ભારે પડી જઈ શકે છે. કારણ કે, તેમાં અલગ અલગ કોમની વ્યક્તિઓને એડ કરાય છે. ન કરે નારાયણ ને વોટસએપ ગૃપમાં કોઈ સમાજ કે દેવી દેવતા, અલ્લાહ, જીસસ વિશે ભળતો સંદેશ પોસ્ટ કરી દે તો વાત વણસી શકે છે. ભૂતકાળમાં આવા બનાવ બની ચૂકેલાં છે. કચ્છ સરહદી જિલ્લો છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ પર ચૂંટણી પંચ વૉચ રાખે તે જરૂરી છે.
રાપરમાં એડમીનનો નંબર જ સતત બંધ છે!
કચ્છખબર સાથે વાત કરતાં રાપરના એક વાચકે જણાવ્યું કે, ‘હું છું રાપર 65’ નામના ગૃપમાં મારો અજાણ્યા નંબર મારફતે સમાવેશ કરાયો છે. જો કે, એડમીન કોણ છે તેની મને કશી ખબર નથી. મેં એડમીનને મેસેજ પાઠવ્યો પણ તે તેને પહોંચ્યો જ નહીં. ફોન લગાડ્યો પરંતુ તે સતત બંધ આવે છે. ગૃપમાં એડ થનારાં લોકો કયા હેતુથી આ ગૃપ બનાવાયું તેવું પૂછે પણ કોઈ જવાબ મળતો નથી. એડ થનારાં મોટાભાગના લોકો એક પછી એક લેફ્ટ થઈ જાય છે. જાણકારો પણ એ જ સલાહ આપે છે કે, અજાણ્યા ગૃપમાં એડ થવાના બદલે લેફ્ટ થવું બહેતર છે.
આટલા બધા નંબર ક્યાંથી લીક થયાં?
સૌથી મોટો સવાલ એ છે કે જે-તે વિસ્તારમાં રહેતાં લોકોના મોબાઈલ નંબર કેવી રીતે ગૃપના એડમીન પાસે પહોંચ્યાં. આ કરતૂતમાં મોબાઈલ કંપનીઓ સંડોવાયેલી છે કે લોકલ ફ્રેન્ચાઈઝીમાંથી આ નંબરોનો ડેટા લીક થયો છે તે તપાસનો વિષય છે.
આ ગંભીર બાબત છે, તપાસ કરાવું છુંઃ કલેક્ટર
સમગ્ર ઘટના અંગે કચ્છખબરે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્યા મોહન સાથે વાત કરી તો તેમણે આ બાબતને સંવેદનશીલ અને ગંભીર લેખાવી છે. તેમણે તુરંત જ આ અંગે પોલીસ તપાસ કરાવવાની ખાત્રી આપી છે.
Share it on
|