કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ-માંડવી રોડ પર આવેલા પુનડી ગામે કચ્છ સમર્પણ આશ્રમમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય ધ્યાન મહાશિબિરનું આયોજન થયું હતું. સમર્પણ પરિવારના દેશવિદેશમાંથી આવેલા 6 હજાર સાધકોએ શિબિરમાં ભાગ લીધો હતો. સાધકોએ સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદગુરૂ શ્રીશિવકૃપાનંદ સ્વામીજીના પ્રવચનો અને તેમના સાંનિન્ધ્યમાં ધ્યાનનો લ્હાવો લીધો હતો. શિબિરના અંતિમ દિને કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારતમાંથી 30 હજાર જેટલાં ભાવિકોએ ગુરૂવંદના કરી સદગુરૂના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે, સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ પોતાના આશિર્વચન આપતાં જણાવ્યું કે, પરમાત્મા શોધવાની વસ્તુ નથી. જ્યારે શોધવાનું બંધ થાય ત્યારે પરમાત્મા દેખાશે. જે સૌની અંદર વિદ્યમાન છે. પરમાત્માનું વર્તમાન સમયનું માધ્યમ સદગુરૂ છે. સદગુરૂ વિના અંતર્મુખી યાત્રા થતી નથી. જન્મોજન્મની સાધના પછી સદગુરૂ મળે છે. યોગી અને ભોગી વચ્ચેનું અંતર સમજાવતાં તેમણે કહ્યું કે, યોગી ભોગ પણ કરે છે તો પણ યોગ સાથે કરે છે અને ભોગી યોગ કરે છે તો પણ ભોગ સાથે કરે છે. શરીરભાવ અને આત્મભાવ બાબતે સમજાવીને અપેક્ષારહિત ધ્યાન કરવા પર તેમણે ભાર મુકીને તેમણે જણાવ્યું હતું કે, અપેક્ષા અને અહંકાર શરીરભાવમાં લાવે છે. સાચા જ્ઞાનને જાણવા અંગે સૌને પ્રેરિત કરીને તેમણે જણાવ્યું કે, મનુષ્ય જન્મ લે છે ત્યારે તેના શરીર પાસે માત્ર ત્રણ જ વસ્તુ છે. કુંડલિની શક્તિ કે જેમાં એના પહેલાનાં કર્મોનો રેકોર્ડ રહેલો હોય છે. તેનો આત્મા કે જે પરમાત્માનો જ અંશ છે તથા એનું સુક્ષ્મ શરીર કે જેમાં એની આધ્યાત્મિક પ્રગતિ સચવાયેલી હોય છે. ઉપરાંત સૌ સાધકોને પૂજ્ય ગુરૂમાની અમૃતવાણીનો પણ લાભ મળ્યો હતો. પૂજ્ય ગુરૂમાએ ઋણાનુબંધની ગહનતા સમજાવતાં કહ્યું કે ઋણ ચૂકવ્યાં વગર મોક્ષપ્રાપ્તિ સંભવ નથી. ચિત્ત વડે એકાંત ધ્યાનનો કક્ષ બનાવવા અંગે પણ ખૂબ જ સુંદર સમજાવ્યું હતું. પૂજ્ય સ્વામીજીના અનુજ પુત્રી અંબરીષભાઈએ તાજેતરમાં નેપાળયાત્રા કરી હતી કે જ્યાં સ્વામીજીએ ગુરૂજી શ્રી શિવબાબાની અત્યંત દુર્ગમ સ્થળે આવેલી ગૂફામાં પણ જઈ આવ્યા હતા એ યાત્રા સંબંધિત વર્ણન અને અનુભૂતિઓ વિશે સાધકોને અવગત કર્યા હતા. તારીખ 8 જૂલાઈના રોજ 501 કુંડીય ચિત્તશુધ્ધિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશવિદેશમાંથી પધારેલાં સાધકોએ ભાગ લીધો હતો. ઉપરાંત સમર્પણ પરિવારના અલગ અલગ ધ્યાનકેન્દ્રોના સાધકોએ સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરી હતી. મહોત્સવમાં પૂજ્ય સ્વામીજીના આભામંડળ પર વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું કે જેમાં ઑરા સ્કેનિંગ મશીન દ્વારા પાડવામાં આવેલા એમના આભામંડળના અદભુત ફોટોગ્રાફ્સ અને તેની સમજ લોકોને આપવામાં આવી હતી. ઉપરાંત ગુરૂપૂર્ણિમાનું આદ્યાત્મિક મહત્વ, શ્રી ગુરૂશક્તિધામ તથા દાનથી આત્મસમાધાન વિષય પર પણ સુંદર સચિત્ર પ્રદર્શનો રાખવામાં આવ્યા હતા. ગુરૂપૂર્ણિમા મહાશિબિરના અંતિમ દિને કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા, સંગીત નાટ્ય અકાદમીની અધ્યક્ષ યોગેશભાઈ ગઢવી, પુનડીના ઉપ સરપંચ અજીતસિંહ જાડેજા, કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા, ધુણઈના સરપંચ મિતેશભાઈ ગઢવી વગેરે મહેમાનોએ ગુરૂદર્શનનો લાભ લીધો હતો. સાથે સાથે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ પત્ર દ્વારા આયોજનને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આયોજનને સફળ બનાવવા કચ્છ સમર્પણ આશ્રમ સમિતિના અધ્યક્ષ જિજ્ઞેશ મહેતા, આશ્રમ સમિતિના સદસ્યો ડૉ. ધૈવત મહેતા, વસંત પટેલ, કુ. નીલમ સાકરીયા, મનુભાઈ જાડેજા, લોકેશ જોશી, દિવાકર અંતાણી, વિનોદ આહીર, નરેન્દ્ર વોરા, પ્રવિણભાઈ પટેલ, વિપુલભાઈ શાહ, પ્રદીપ વૈષ્ણવ, નરેશ દાવડા, હિતેન્દ્રસિંહ વાઘેલા અને પ્રશાંતભાઈ જોશીએ જહેમત ઉઠાવી હોવાનું મહાશિબિરના મીડિયા કન્વિનર શૈલેષભાઈ રૂડાણીએ જણાવ્યું હતું.
Share it on
|