અમદાવાદ શહેરમાં આજે વિજયાદશમીના પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ સ્થળોએ મોડી સાંજે વિશાળકાય રાવણના પૂતળાનું દહન કરાયું હતું. ઠેરઠેર રામલીલાના કાર્યક્રમો યોજીને દશેરાપર્વ સાથે સંકળાયેલા રામાયણકાળાના પ્રસંગોને સ્ટેજ પર જીવંત કરાયા હતા. બીજી તરફ આજે દુર્ગા મૂર્તિનું પણ મોટી શોભાયાત્રાઓ કાઢીને વિસર્જન કરાયું હતું .વિજયાદશમીના શુભ દિવસે મકાન, દુકાન, વાહનોની ધુમ ખરીદી થવા પામી હતી. આ દિવસે ફાફાડા-જલેબી ખાવાનું વિશેષ મહત્વ હોવાથી તમામ દુકાનોમાં મોડી રાત સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આજે કરોડો રૃપિયાની ફાફડા-જબેલીની ખરીદી થવા પામી હતી. જેને લઇને દુકાનદારોનો તહેવાર સુધરી ગયો હતો. શહેરમાં ૪૦ ફટથી લઇને ૭૨ ફૂટની ઉંચાઇ ધરાવતા રાવણના પૂતળાઓનું વિવિધ મેદાનોમાં દહન કરાયું હતું. જેમાં અમરાઇવાડી, સાબરમતી, ખોખરા, નરોડામાં આ પ્રકારના સાર્વજનીક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફટાકડાઓની આતશબાજી કરીને અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરાઇ હતી. શહેરની લગભગ તમામ ચાલીઓ, સોસાયટીઓમાં પણ ચોકમાં રાવણના પૂતળાનું દહન કરાયું હતું. બાળકોએ રામાયણના વિવિધ પાત્રોની વેશભુષા ધારણ કરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજે શનિવાર અને દશેરાનો સંયોગ થઇ જતા રામભક્ત હનુમાનજીના મંદિરોમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શહેરમાંથી ૧૩ સ્થળોએ દુર્ગાપૂજાનું આયોજન કરાયું હતું. જેમાં આજે મોડી સાંજે દુર્ગા માતાની મૂર્તિઓનું ટાગોર હોલ પાસે સરદારબ્રિજ રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં બંગાળી સમાજ દ્વારા ધાર્મિક વિધીવિધાન મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં મોટી શોભાયાત્રાઓ પણ નીકળી હતી.
Share it on
|