કચ્છખબરડૉટકોમ, ભુજઃ હિન્દુ શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષેદહાડે સર્જાતા ગ્રહ, નક્ષત્ર અને તિથિના શુભ સંયોગોમાં લગ્ન, હવન, યજ્ઞ, ઉજવણી સહિતના શુભ કાર્યો ચોક્કસ સંયોગોમાં જ પાર પાડવામાં આવે છે. જ્યારે કેટલાક સંયોગો શુભ કાર્યો માટે વર્જીત ગણવામાં આવે છે. આવા જ એક અશુભ સંયોગનો મહિનો ગણાતા ‘કમુરતા’ ૧૬મી ડિસેમ્બરથી શરૂ થશે. કમુરતા દરમિયાન લગ્ન સહિતના શુભ કાર્યો પર એક મહિનો રોક લાગી જશે. શનિવારે પરોઢે ૩ વાગ્યે સૂર્ય વૃશ્ચિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે તે સાથે જ કમુરતા શરૂ થશે. પિતા-પુત્ર હોવા છતાં કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય અને શનિ એક જ રાશિમાં એક માસ સુધી રહેવાના હોય સારા-નરસાં પરિણામો આવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, સૂર્ય ૧૬ ડિસેમ્બરના શનિવારે વહેલી સવારે ૩ કલાકે વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં આવશે. ધન રાશિ સૂર્યના મિત્ર ગુરુની રાશિ છે, પરંતુ હાલ ધન રાશિમાં સૂર્યપુત્ર અને પ્રબળ શત્રુ એવો શનિ બિરાજમાન છે. સૂર્યના ધન રાશિમાં પરિવર્તન સમયે અનુરાધા નક્ષત્ર રહેશે. આ નક્ષત્ર શનિનું છે. તે સમયે બુધ પૂર્વ દિશામાં ઉદય થશે અને શુક્ર અસ્ત થઇ જશે. શનિવારે સવારે ૭.૧૦ કલાકે સૂર્યોદય થશે અને બે મિનિટ પછી ૭.૧૨ કલાકે ભદ્રા બેસી જશે. ભદ્રા રાતના ૮.૨૦ વાગ્યા સુધી ચાલશે. સૂર્ય સંક્રાંતિનો પૂણ્યકાળ બપોરે ૧૨.૩૪ સુધી રહેશે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થવાની સાથે જ કમુરતા શરૂ થાય છે. ૧૬મીએ સવારે ધનમાં પ્રવેશ બાદ સૂર્ય ૧૪ જાન્યુઆરી, ૨૦૧૮ના બપોરે ૧.૪૬ વાગ્યા સુધી ધન રાશિમાં રહેશે. ત્યાર બાદ મકર રાશિમાં પ્રવેશ કરશે. કમુરતાના મહિનામાં શુભ, મંગળ કાર્યો કરવાનો નિષેધ ગણાય છે. જેને પગલે લગ્ન, ઉદઘાટન, નવી ખરીદી સહિતના શુભ કાર્યો કરવામાં આવશે નહીં. આ સમયમાં ધાર્મિક આયોજનો, યજ્ઞ, હવન, તપ, જપ, પૂજા, આરાધના આદિ કરવાનો વિશેષ મહિમા છે. કમુરતામાં કરેલી પૂજા, સાધના ઝડપથી સિદ્ઘ થાય છે અને સફળતા મળતી હોવાની માન્યતા છે. ૭ જાન્યુઆરી સુધી શનિ અસ્ત રહેશે. સાંજે ૫.૫૫ સુધી શનિ ઉદય થશે અને સૂર્ય સાથે ઘર્ષણનો આરંભ કરશે. જેથી ૭ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધીમાં માર્ગ અકસ્માત, આતંકી ઘટનાઓ, હિંસાના બનાવોની આશંકા છે. આ દરમિયાન સૂર્ય-શનિનો રાહુ સાથે ષડાષ્ટક યોગ પણ દુર્ઘટનાઓની શકયતા વધારે છે. આ સિવાય રાજકીય માહોલ ગરમાશે. વિવાદો, આરોપોનો દોર ચાલે એવી સંભાવના છે.
Share it on
|