કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ શીયા ઈસ્માઈલી મુસ્લિમોના ઈમામ હીઝ હાઇનેસ નામદાર આગાખાન અને આગાખાન ડેવલોપમેન્ટ નેટવર્ક (એ.કે.ડી.એન.)ના સ્થાપક-ચેરમેન ભારત સરકારના આમંત્રણ પર દસ દિવસની સત્તાવાર મુલાકાત પર દિલ્હી પધાર્યાં છે. શીયા ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના ઇમામ તરીકે આગાખાનના નેતૃત્વની 60મી વર્ષગાંઠના ડાયમંડ જ્યુબિલી સમારોહ અંતર્ગત આ તેમની મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે, જ્યુબિલી અંતર્ગત પરંપરાગત રીતે સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનો આરંભ કરવામાં આવે છે. પ્રોજેક્ટસ અંતર્ગત હોસ્પિટલો, યુનિવર્સિટીઓ, સાંસ્કૃતિક અને નાણાકીય સંસ્થાઓનો સમાવેશ કરાય છે. આવતીકાલે મંગળવારે નામદાર આગાખાન ઉપ રાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુ સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે તેમના હસ્તે દિલ્હીમાં 90 એકર સિટી પાર્કની નર્સરીનું લોકાર્પણ કરાશે. હુમાયુના મકબરા–દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં અનન્ય શહેરી નવીનીકરણની પહેલ અંતર્ગત છેલ્લાં એક દાયકાથી વધુ સમયથી આ પ્રોજેક્ટ આગાખાન ટ્ર્સ્ટ ફોર કલ્ચર ચલાવી રહ્યું છે. દિલ્હીની સુંદરવન નર્સરીમાં 280 વૃક્ષની જાતના 20,000 રોપાઓ વાવવામાં આવ્યા છે. અહીં 80થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. આ વિસ્તારના 15 પૈકી 6 સ્મારકોના નવિનીકરણ પ્રોજેક્ટ હાથ ધરાયા બાદ તેને વર્લ્ડ હેરિટેજ સ્મારક તરીકે નોમીનેટ કરાયાં છે. પ્રોજેક્ટમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડેવલપમેન્ટ, પુરાતત્વ સર્વેક્ષણ વિબાગ અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જોડાયેલાં છે. સુંદર નર્સરી એ આગાખાન ટ્રસ્ટ ફોર કલ્ચર દ્વારા વિકસાવવામાં આવેલા શહેરી વિસ્તારનો 7મો પાર્ક છે. અફઘાનિસ્તાન, કેનેડા, ઇજિપ્ત, માલી, તાજિકિસ્તાન અને ઝાંઝીબારમાં પણ આવા પાર્ક બનાવાયાં છે. નામદાર આગાખાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. દિલ્હી ઉપરાંત તેઓ અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઇની પણ મુલાકાત લેવાના છે. જ્યાં તેઓ સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો વગેરે મહાનુભાવો સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં તેમના સામાજિક વિકાસમાં યોગદાન બદલ 2015માં નામદાર આગાખાનને પદ્મવિભુષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
Share it on
|