કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ લંડનના કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય મુક્તજીવનસ્વામીબાપાના ત્રીજા વાર્ષિક પાટોત્સવની હરિભક્તોએ હોંશભેર ઉજવણી કરી છે. વિશ્વના એકમાત્ર “ઇકો ફ્રેન્ડલી” મંદિરથી પ્રખ્યાત કિંગ્સબરી મંદિરના આંગણે પાટોત્સવ પર્વે ષોડશોપચાર, અન્નકૂટ, આરતી, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના આશિર્વાદ વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છ સહિત ગુજરાતના એનઆરઆઈ હરિભક્ત પરિવારો ઉમટી પડ્યા હતા. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના હસ્તે મંદિરમાં ઘનશ્યામ મહારાજ, અબજી બાપા અને મુક્તજીવનસ્વામીબાપાની સોનેરી સિંહાસન પર બીરાજમાન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ષોડશોપચાર સ્નાનવિધિ આદિ ધાર્મિક ક્રિયાઓ સંપન્ન થયા બાદ ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે બાપાની ધૂનનું ગાન કરી હરિભક્તોએ સામૂહિક પ્રસાદ લઈ પ્રસંગને મન ભરીને માણ્યો હતો.
Share it on
|