કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં રહેતી પરિણીત નણંદ પર ગાંધીધામના ભારતનગરમાં રહેતી તેની વિધવા ભાભી અને ભાભીના માતા-પિતા તેમજ ભાઈ ભરબપોરે ફિલ્મી ઢબે વાહન રોકાવી પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરી મંગળસૂત્ર અને રોકડ રકમ મળી 45 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાનો બનાવ રાપર પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદી 34 વર્ષિય ગીતાબેન ભરતભાઈ ઠાકોર મૂળ રાપર તાલુકાના આણંદપરના વતની છે અને હાલે રાપરના એકતાનગરમાં રહે છે. હુમલા સાથે લૂંટનો બનાવ ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યે રાપરની વિકાસવાડીના ગેટ સામે બન્યો હતો. ગીતાબેન તેમનું એક્ટિવા લઈ જતા હતા તે દરમિયાન તેમની વિધવા ભાભી નિહારિકા અને તેના પરિવારજનો કે જે સફેદ રંગની આઈ ટ્વેન્ટી કારમાં બેઠા હતા તેમણે તેને રસ્તા પર આંતરીને સીધો હુમલો કર્યો હતો. નિહારીકાએ કારમાંથી ઉતરીને નણંદ ગીતાના એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ નિહારીકાના પિતા દિલીપ ઠાકોર કારમાંથી ધારીયું અને માતા સોનીબેન લોખંડનો પાઈપ લઈ નીચે ઉતર્યાં હતા. આ વખતે નિહારીકાએ ભાભી ગીતા પર છરીથી વાર કર્યો હતો. જો કે, ગીતાએ નીચે વળી જઈ ઘા ચૂકાવી દેતાં નિહારીકાએ ઉગામેલી છરી સામાન્ય લસરકા સાથે નીકળી ગઈ હતી. ત્યારબાદ નિહારીકા અને તેના માતા-પિતાએ ગીતાને પકડી રાખી હતી અને તેના ભાઈ રાહુલ ઊર્ફે પ્રતીક દિલીપ ઠાકોરે તેને ગડદાપાટુનો માર માર્યો હતો. સોનીબેને પણ ગીતાની પીઠમાં મુઢ માર મારી ગળામાં પહેરેલું બે તોલાનું મંગળસૂત્ર અને 10 હજાર રૂપિયાની રોકડ રકમ ભરેલું પર્સ લૂંટી લીધુ હતું. ત્યારબાદ ચારેય જણાં તેની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. બનાવ બન્યા બાદ ગીતાબેને હોસ્પિટલમાં સારવાર મેળવી આજે ભાભી નિહારીકા સહિત ચારેય આરોપી સામે હુમલા સાથે લૂંટની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે કચ્છખબર સાથે વાત કરતાં ગીતાબેને જણાવ્યું કે, મારા ભાઈ જયેશના નિહારીકા સાથે લગ્ન થયા હતા. જો કે, 2012માં જયેશની હત્યા થઈ ગઈ હતી. જયેશના મોત બાદ ભાભી નિહારીકા ગાંધીધામના ભારતનગરમાં રહેતા તેના પિતાને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. છેલ્લાં છ વર્ષથી તે પિયરમાં જ રહે છે. પોતાના પર ભાભીએ કરેલાં હુમલાના કારણ અંગે ગીતાબેને અજાણતા વ્યક્ત કરી હતી. ફરિયાદી ગીતાબેનના પતિ ભરતભાઈ રાપરમાં વકીલાતનો વ્યવસાય કરે છે. ઘટના સંદર્ભે કચ્છખબરે તપાસનીશ પીએસઆઈ એસ.જી.ખાંભલાનો સંપર્ક કરવા વારંવાર પ્રયાસ કર્યો હતો પરંતુ વાત થઈ શકી નહોતી.
Share it on
|