કચ્છખબરડૉટકોમ, રાપરઃ બનાસકાંઠાથી આવતી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં રીપેરીંગના કારણે આગામી પખવાડીયા માટે પાંચમી જાન્યુઆરી સુધી પાણી બંધ કરી દેવાયું છે. જેના વિરોધમાં આજે રાપરના ધારાસભ્ય અને કોંગ્રેસ કાર્યકરો સાથે રાપર-ભચાઉ તાલુકાના ખેડૂતોએ નંદાસર ગામ પાસે ધરણાંનો કર્યા છે. નર્મદા કેનાલના પાણીના ભરોસે હાલ વાગડના હજારો ખેડૂતોએ જીરૂ, ઘઉં, રાયડો, ઈસબગુલ વગેરે જેવા પાકનું વાવેતર કર્યું છે. જો એક પખવાડીયા સુધી કેનાલમાં પાણી ના આવે તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. તેથી નર્મદા કેનાલમાં તાત્કાલિક ધોરણે પુનઃ પાણી છોડવાની માંગણી સાથે કોંગ્રેસ અને ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. જ્યાં સુધી નર્મદા કેનાલમાં પાણી ના છોડાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની કોંગ્રેસના ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે. ધરણાં પર ઉતરેલાં કિસાનો-કોંગ્રેસી કાર્યકરોએ ધોળાવીરા-રાપર માર્ગ પર ચક્કાજામ કરતાં અનેક વાહનોના પૈડાં થંભી ગયાં હતા.
Share it on
|