કચ્છખબરડૉટકોમ, રાપરઃ મેડીકલ ઈમરજન્સીમાં મુકાયેલાં દર્દીઓ માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અનેકવાર જીવનદાયિની સાબિત થઈ છે. પરંતુ, આજે રાપર તાલુકાના વરણુ ગામની એક પ્રસૂતા માટે 108 એમ્બ્યુલન્સના આગમનમાં થયેલો અસહ્ય વિલંબ જીવલેણ બન્યો છે. વરણુ ગામની 30 વર્ષિય શિતલબેન રામજીભાઈ વરણવા (બ્રાહ્મણ)ને આજે એકાએક પ્રસુતિની પીડા ઉપડી હતી. પરિવારજનો તેને તત્કાળ આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયાં હતા. જો કે, બ્લડપ્રેશર હાઈ થઈ ગયું હોઈ પીએચસીના તબીબ ડૉ. જયંતી બાંભણીયાએ તેને રાધનપુર રીફર કરવા માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ, પલાંસવા અને રાપરની બંને જગ્યાની એમ્બ્યુલન્સ અન્ય કેસમાં વ્યસ્ત હોઈ તત્કાળ આવી શકી નહોતી. એમ્બ્યુલન્સના આગમનમાં સવા કલાક સુધીનો વિલંબ થયો હતો. તે દરમિયાન શિતલની તબિયત વધુ ગંભીર બની જતાં પીએચસીના તબીબ ડૉ. જયંતી બાંભણીયા અને સ્ટાફ ઉપલબ્ધ અન્ય વાહનમાં પ્રસુતાને લઈ રાધનપુર જવા નીકળ્યાં હતા. અલબત્ત, સાંતલપુર નજીક 108 એમ્બ્યુલન્સ આવી જતાં મહિલાને 108માં શિફ્ટ કરાઈ હતી. સમગ્ર ઘટનાચક્રમાં સવા કલાક જેટલો સમય વેડફાઈ જતાં મહિલાની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી અને અંતે તેણે સાંતલપુર-વારાહી વચ્ચે એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે 108ના જિલ્લા અધિકારી જયેશ કરેણાએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારી પાસે ઉપલબ્ધ બંને એમ્બ્યુલન્સ અન્ય ઈમરજન્સીમાં રોકાયેલી હોઈ પ્રસુતાને તત્કાળ સેવા મળી શકી નહોતી. આ ઘટના પરથી તંત્ર ધડો લઈ રાપર તાલુકમાં 108 એમ્બ્યુલન્સની સંખ્યા વધારે તે જરૂરી છે.
Share it on
|