કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ ઘરફોડ ચોરીના બનાવો તો રોજબરોજ બનતાં હોય છે પરંતુ ચોરીનો એક બનાવ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે, આ ચોરી જમીન પર નહીં પરંતુ મધદરીયામાં થઈ છે અને તસ્કરો જહાજમાંથી 1.10 કરોડનો માલ-સામાન તફડાવી ગયાં છે. મુંદરા અદાણી પોર્ટ એન્ડ સેઝની માલિકીના ડ્રેજીંગ વેસલ્સમાંથી તસ્કરો હેવી રોપ, સ્ટીલ વાયર, હાઈડ્રોલીક મોટર સહિત જહાજમાં રહેલા ટીવી, વોશીંગ મશીન અને રેફ્રિજરેટર ઉપાડી ગયાં છે. અદાણી ગૃપની માલિકીનું આ વેસલ્સ 13 માર્ચે મુંદરાથી રવાના થયું અને 17 માર્ચે ભાવનગરના ઘોઘા બંદરે પહોંચ્યું તે દરમિયાન ચોરીનો આ બનાવ બન્યો હતો. અદાણી ગૃપે આ ડ્રેજીંગ વેસલ્સ કોન્ટ્રાક્ટ પર ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરતી પેઢીને આપેલું છે. શાંતિસાગર XVI નામનું આ ડ્રેજર 104 મીટર લાંબુ અને 18.60 મીટર પહોળું છે અને ત 29 મીટરની ઊંડાઈ સુધી દરીયાઈ કાંપની સફાઈ(ડ્રેજીંગ) કરી શકે છે. તસ્કરીના બનાવ અંગે મુંદરા APSEZની અમદાવાદસ્થિત કચેરીના ડેપ્યુટી મેનેજર રતન કુવેરાએ ભાવનગર મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરના કાંઠે દેશી ચાંચિયાઓએ આપ્યો તસ્કરીને અંજામ?
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના અલંગ અને ઘોઘાના દરીયામાં દેશી ચાંચિયાઓ અવારનવાર દેશી હોડીઓમાં બેસીને દરીયામાંથી પસાર થતાં જહાજમાંથી ચોરી કરતાં હોવાના બનાવો બનતાં રહ્યા છે. દેશી ચાંચિયાઓ ઘણીવાર જહાજ પરના કર્મચારીઓને ધાક-ધમકી આપીને માલ-સામાનની લૂંટ પણ કરે છે. ભાવનગર અને અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં આવતા જહાજ ભાવનગરથી દૂર ઘોઘા નજીકના એન્કરેજ પોઈન્ટ પર રાખવામાં આવે છે. રાતવેળાએ રેઢાં પડેલા આ જહાજને આસપાસના ગામોમાં રહેતા તસ્કરો નિશાન બનાવે છે. હોડીમાં આવીને જહાજ પર ચડીને ચોરી કરી જતા તસ્કરો અવારનવાર લાખોની કિંમતના માલસામાનની ચોરી કરી જાય છે.
Share it on
|