કચ્છખબરડૉટકોમ, ભુજઃ 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કેન્દ્ર સરકારના કાર્યો અને સિધ્ધિઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભુજ સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં 60 મિડીયા કેન્દ્રો શરૂ કરવાનું આયોજન કર્યું છે. ‘ઈકોનોમિક ટાઈમ્સ’ નામના અંગ્રેજી અખબારે આપેલાં અહેવાલ મુજબ આ કેન્દ્રો મારફતે કેન્દ્ર સરકારે મેળવેલી વિવિધ સિધ્ધિઓ જેમ કે, જીએસટી, વીજળીકરણ સહિતની બાબતોનો નાનાં શહેરો-ગામડાંની જનતા સમક્ષ પ્રચાર-પ્રસાર કરાશે. મંત્રાલયના એક અધિકારીને ટાંકીને અખબારી અહેવાલમાં જણાવાયું છે કે, ભુજ, રોહતક, સીલીગુડી, કોચી, કોરબા, મુઝફ્ફરનગર સહિત કુલ 60 શહેરોમાં મિડીયા કેન્દ્રો શરૂ કરાશે. તામિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને કર્ણાટક જેવા રાજ્યોમાં બે-બે કેન્દ્રો શરૂ કરાશે તો ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કુલ 9 કેન્દ્રો શરૂ કરાશે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સર્વાધિક નવ મિડીયા કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે. આ માટે માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ યુપી અને ઝારખંડના મુખ્યમંત્રીઓને જમીન ફાળવવા સૂચના પણ આપી દીધી હોવાનું હેવાલમાં જણાવાયું છે. તમામ કેન્દ્રો પર દેખરેખ અને સંચાલન માટે ડિરેક્ટર જનરલ કક્ષાના 7 અધિકારીઓની ઝોનવાઈઝ નિમણૂંક કરાશે. સ્થાનિક ભાષા જાણતાં હોય તેવા અધિકારીને અગ્રતા અપાશે. મિડીયા કેન્દ્રો સરકારી સિધ્ધિઓ-યોજનાઓની માહિતીના પ્રચાર કરશે ઉપરાંત તે ઈલેક્ટ્રોનિક મિડીયા મોનિટરીંગ સેન્ટર તરીકે પણ કામ કરશે. સ્થાનિક અખબારો અને ટેલિવિઝન ચેનલમાં આવતાં સમાચારોની નોંધ લઈ ઉચ્ચ સ્તરે તેનું રીપોર્ટીંગ કરશે. કેન્દ્ર સરકારે ચૂંટણી પૂર્વે વિવિધ શહેરોમાં સોશિયલ મિડીયા કૉમ્યુનિકેશન હબ શરૂ કરવાનું પણ આયોજન કર્યું છે. જે સ્થાનિક સરકારી કામગીરી-સિધ્ધિઓનો સોશિયલ મિડીયામાં પ્રચાર પ્રસાર કરશે.
Share it on
|