ઇરાક-ઇરાન સરહદે મધરાત્રે ૧ વાગ્યે આવેલા 7.2ની તીવ્રતાના ભૂકંપે મોટાપાયે જાનમાલની ખુવારી કરી છે. ભૂકંપના કારણે મકાનો પડી જવાથી કાટમાળમાં દટાઈને અત્યારસુધીમાં ૧૪૪ લોકોના મોત થયાં હોવાનું બહાર આવ્યું છે. ૮૬૯થી વધુ લોકોને ઇજા થઇ છે. ભુકંપને કારણે બંને દેશોમાં ભારે નુકસાન થયુ છે. ભુકંપનું ઉંડાણ ૧પ માઇલ હતુ. અમેરિકાની જીઓલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર, ભુકંપનું કેન્દ્રબિંદુ ઇરાકના ગામ હલબઝાથી દક્ષિણ-પશ્ચિમમાં ૩ર કિ.મી. દૂર નોંધાયુ હતું. ઇરાની ટીવી મીડીયાના જણાવ્યા પ્રમાણે ભુકંપથી ઇરાનના અનેક સ્થળે વિજળી ચાલી ગઇ છે. રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. ઇરાકના કુર્દીસ્તાનમાં અનેક લોકો ભૂકંપને કારણે પોતાના ઘર છોડીને જાન બચાવી બહાર દોડી આવ્યા હતા. અનેક ઇમારતોને નુકસાન થયુ છે. કાટમાળ હટાવ્યા બાદ મરનારાની સંખ્યા વધશે તેવું જણાય છે. ભુકંપ બાદ ઇરાક અને ઇરાનની સરહદે તબાહીની તસ્વીરો સામે આવી છે. ઇરાકના દર્બનદીનાખ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં ઇમારતો ધસી પડી છે. ઇરાકમાં ભુકંપથી ૬૭ના મોત થયા છે અને ૩૦૦થી વધુ લોકોને ઇજા થઇ છે. ભેખડો ધસી પડવાના કારણે અનેક હાઇવે બંધ થઇ ગયા છે. રેડક્રોસની ૩૦ ટીમ બચાવકાર્યમાં લાગી છે. કતારમાં પણ એક બાળક સહિત બે લોકોના મોત થયા છે અને ૧૦પ લોકોને ઇજા થઇ છે. ઇરાકના સુલેમાનીયા પ્રાંતમાં છ લોકોના મોત અને ૧પ૦ લોકોને ઇજા થઇ છે. ભુકંપને કારણે ઇરાનના અનેક શહેરો અને 8 જેટલા ગામો પ્રભાવિત થયા છે. ઇરાનના ૧૪ જેટલા પ્રાંત ભુકંપની અસર પડી છે. આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૩માં ઇસ્ટર્ન સીટીમાં ૬.૬ પોઇન્ટનો ભુકંપ આવ્યો હતો અને રપ૦૦૦ના મોત થયા હતા. ઓગષ્ટ ર૦૧રમાં ઇરાનના ઉત્તર-પશ્ચિમના વિસ્તારમાં બે ભુકંપથી રપ૦ લોકોના મોત થયા હતા અને ૧૩૦૦થી વધુ લોકોને ઇજા થઇ હતી.
Share it on
|