કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના કોટડા જડોદર નજીક ભીમપુરા રોડ પર નશામાં ધૂત ટ્રકચાલકે રોડ પરથી પસાર થઈ રહેલાં 42 ઘેટાં–બકરાં પર ટ્રક ફેરવી નાખી મોતને ઘાટ ઉતારતાં અરેરાટી છવાઈ ગઈ છે. આજે સવારે નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ભીમપુરાના માલધારી રાજા હીરા રબારી અને ઈલિયાસ સિધિક કુંભાર તેમના ઘેટાં-બકરાંને લઈ ચરાવવા જતા હતા ત્યારે રોડ પર માતેલા સાંઢની જેમ આવી રહેલી ટ્રકના પૈડાં અબોલ ઘેટાં-બકરાં પર ફરી વળ્યાં હતા. ટ્રક નંબર જીજે 12 ઝેડ 2877ના ચાલકે અબોલ જીવને મોતને ઘાટ ઉતારતાં સ્થાનિક રહીશોમાં અરેરાટી સાથે આક્રોશ છવાયો હતો. સ્થાનિક રહીશોએ ટ્રકચાલક નશામાં ધૂત હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે કોઈ નોંધ પડી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બનાવમાં ચાવડકાના ટ્રકમાલિકે મૃત ઘેટાં-બકરાંદીઠ નાણાંકીય વળતર આપવાની તૈયારી દર્શાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો નહોતો.
Share it on
|