કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ કડકડતી ઠંડીની સીઝનમાં બેફામ બનેલાં તસ્કરોના તરખાટથી પોલીસ તંત્ર પણ બાકાત રહ્યું નથી. નખત્રાણામાં DySP કચેરીમાં ફરજ બજાવતા ASIના મકાનમાં તસ્કરોએ ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. નખત્રાણા પોલીસ મથકે ASI હરીગર જીવણગર ગુંસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પારસનગરમાં રહે છે. ગત 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન તેઓ સપરિવાર બહારગામ હરવા-ફરવા ગયા હતા. દસ દિવસના સમયગાળામાં કોઈપણ સમયે ત્રાટકેલાં તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી તેમના બંધ મકાનનું તાળું ખોલી મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી 29 હજાર રૂપિયાની માલમત્તા તફડાવી લીધી હતી. તસ્કરોએ પડોશમાં આવેલા અન્ય બે મકાનોમાં પણ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે નખત્રાણા પીએસઆઈએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
Share it on
|