કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણામાં આજે વધુ એકવાર પીઠમાં ખુંપેલી કૂહાડી સાથે ઘાયલ વૃષભ મળી આવતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગઈ હતી. આજે સવારે શહેરના વિશ્વકર્મા માર્કેટ પાસે આખલો ઘાયલ હાલતમાં જોવા મળતાં ગૌપ્રમીઓ અને ગૌરક્ષક દળનાં સભ્યો દોડી ગયાં હતા. કોઈકે આખલાની પીઠમાં ઝનુનપૂર્વક કૂહાડી મારેલી છે. જીવદયાપ્રેમીઓએ આખલાને પકડી તેની સારવાર માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે, ઈજાગ્રસ્ત આખલો ભડકેલો હોઈ તુરંત પકડમાં આવ્યો નહોતો. બનાવ અંગે ગૌપ્રેમીઓ દ્વારા નખત્રાણા પોલીસ મથકે મોડી સાંજે અરજીરૂપે રજૂઆત કરાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં નખત્રાણા અને આસપાસના ગામોમાં ગૌવંશ પર આ રીતે ક્રુર હુમલાં થયા હોવાના બનાવો બનેલાં છે.
Share it on
|