કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના મચ્છીપીઠ વિસ્તારમાં આજે સવારે એક યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સવારે સવા સાત વાગ્યે સ્થાનિક લોકોએ અજાણ્યા યુવકની લાશ પડી હોવાની પોલીસ મથકે જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કચ્છખબર સાથે વાત કરતાં માંડવીના પીઆઈ એમ.આર.ગામેતીએ જણાવ્યું કે, મૃતક યુવકનું નામ ઉમેન યાહ્યા ચાકી છે અને તેની ઊંમર 24 વર્ષની છે. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું વેતરી નાખેલું છે. મૃતક મચ્છીપીઠ ખાતે તાજ આઈસ કેન્ડી પાછળ રહેતો હતો અને માંડવીના મેમણભાઈ નામના ફળોના વેપારીની જીપ હંકારવાનું કામ કરતો હતો. હત્યારાઓ તેની હત્યા બીજી જગ્યાએ કરી લાશને મચ્છીપીઠના નાકે આવેલી મસ્જિદ પાસે ફેંકી ગયાં હોવાની શક્યતા પીઆઈએ વ્યક્ત કરી છે. યુવકની લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડાઈ છે. મૃતકના પરિવારજનોની પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું છે કે, રાત્રે તે બહાર હતો અને સવા એક વાગ્યે પરિવારજનોએ ફોન કર્યો તો તેણે ફોન પણ ઉપાડ્યો હતો. જો કે, જવાબમાં હલ્લો..હલ્લો..કર્યા બાદ ફોન કટ થઈ ગયો હતો. બનાવ સંદર્ભે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ઘટના અંગે જાણ થતાં ડીવાયએસપી એન.વી.પટેલ દોડી ગયાં છે.
Share it on
|