કચ્છખબરડૉટકોમ,ભુજઃ 2001ના ગોઝારા ભૂકંપ બાદ ગાંધીનગરમાં અસ્તિત્વમાં આવેલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રીસર્ચ (ISR) દ્વારા કચ્છમાં ભવિષ્યમાં સંભવિતપણે ક્યાં ભૂકંપની આફત ત્રાટકી શકે છે તેનો તાગ મેળવવા સમગ્ર કચ્છનું 3-D મેપીંગ કરવા નિર્ણય કરાયો છે. અગ્રણી અંગ્રેજી અખબાર 'ઈન્ડિયન એક્સપ્રેસ'માં પ્રગટ થયેલાં અહેવાલ અનુસાર દેશમાં પહેલીવાર આ કવાયત્ હાથ ધરાશે. ISRના ડિરેક્ટર જનરલ ડૉ.એમ. રવિકુમારના જણાવ્યા મુજબ 3-D મેપીંગના કારણે અમને હાલની સક્રિય ફૉલ્ટલાઈન અંગે વિસ્તૃત માહિતી મળશે તો અત્યારસુધી નજરે નહીં ચઢેલી 'હિડન' ફૉલ્ટલાઈનનો પણ ખ્યાલ આવશે. કચ્છમાં હાલ 12 અલગ અલગ નાનાં મોટાં એક્ટિવ ફૉલ્ટ છે. ગત મહિને જ ISRએ અંજાર નજીક એક 'હિડન' ફૉલ્ટ શોધ્યો હતો.
કચ્છ મેઈનલેન્ડથી 3-D મેપીંગનો કરાશે પ્રારંભ
ડૉ.એમ. રવિકુમારના જણાવ્યા અનુસાર કચ્છ મેઈનલેન્ડ ફૉલ્ટલાઈનથી 3-D મેપીંગનો પ્રારંભ કરાશે. 140 કિલોમીટર લાંબી અને 30 કિલોમીટર પહોળી આ ફૉલ્ટલાઈન કચ્છની સૌથી મોટી ફૉલ્ટલાઈન છે. આ માટે હાલ 50 નવા બ્રોડબેન્ડ સિસ્મોગ્રાફ મશીનનું નેટવર્ક ઉભું કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ અંજારથી લઈ રાપરના બેલા સુધી મેઈનલેન્ડ ફૉલ્ટલાઈનનું 3-D મેપીંગ કરાશે. ઉલ્લેખનીય છે કે આ ફૉલ્ટલાઈનમાંથી સંશોધન કેન્દ્રને જમીનમાં 25-30 કિલોમીટરની ઊંડાઈથી લાવા જેવો પ્રવાહી-પીગળેલો પદાર્થ મળેલો છે. તબક્કાવાર સમગ્ર કચ્છને આવરી લઈ તમામ ફૉલ્ટલાઈનનું મેપીંગ હાથ ધરાશે. ભારત-પાકિસ્તાનની સીમાએ લખપત નજીક આવેલી અલ્લાહબંધ ફૉલ્ટલાઈનનું પણ મેપીંગ કરાશે. ઉલ્લેખનીય છે કે, 2001માં આવેલા 7.7ની તીવ્રતાના ગોઝારા ભૂકંપના દોઢ દાયકા બાદ પણ કચ્છમાં સમયાંતરે ભૂકંપના હળવા મધ્યમ તીવ્રતાના આંચકા ચાલું રહ્યાં છે.
Share it on
|