કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત સરકાર દ્વારા પહેલી મેથી જળસંચય અભિયાનની ઉજવણીનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આજે કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે ભુજમાં વિવિધ એનજીઓ, ઉદ્યોગગૃહો અને અન્ય સામાજિક-બીનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમણે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે લોકભાગીદારી દ્વારા મોટાપાયે જળસંચયના કામો કરવાનું આયોજન ઘડાઇ રહ્યું હોવાની માહિતી આપી બે દિવસમાં જ તમામ તાલુકાના બધા કામોની યાદી આખરી સ્વરૂપમાં તૈયાર થઇ જશે તેમ જણાવ્યું હતું. આ અભિયાન સંદર્ભે જિલ્લાકક્ષાએ સિંચાઇ વિભાગના નોડલ અધિકારીની નિમણુંક કરાઈ છે. તો, આયોજન અધિકારીની સંકલનકર્તા તરીકે નિમણુંક કરાઇ છે. આવી જ રીતે તાલુકા કક્ષાએ સિંચાઇ વિભાગ કાર્ય કરશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. કલેક્ટરે દરેક એનજીઓ, ઉદ્યોગગૃહો અને સંસ્થાઓ કેવી રીતે આ કાર્યમાં ભાગીદાર થવા માંગે છે તે માટે લેખિત દરખાસ્ત આપવા સાધન સહાયની વિગતો અને પોતાની રીતે સ્વયંભૂ જળસંચયના કયા કામો કરવા ઇચ્છા ધરાવે છે તે સહિતની વિગતો તંત્રને મોકલી આપવા અનુરોધ કર્યો હતો. ફોકિયા દ્વારા ઉદ્યોગોગૃહો અને તેના એસોસિએશનની કામગીરીનું સંકલન કરાશે તેમ બેઠકમાં જણાવાયું હતું. તંત્ર દ્વારા સાધનો સાથે કે પોતાની રીતે જળસંચયનું મહાકાર્ય કરવા બધા જ કામોનો માસ્ટર પ્લાન કરીને ફાળવણી કરાશે તે સાથે ડિઝલ ખર્ચની ફાળવણી સરકાર દ્વારા કરાશે તે અંગેની તેમણે જાણકારી આપી હતી. જળસંચયના કામો તાંત્રિક દ્રષ્ટિએ યોગ્ય રીતે થાય તેના પર તેમણે ભાર મુક્યો હતો. આ માટે તેમણે ટેકનિકલ એક્સપર્ટની સહાય આપવાની પણ તૈયારી દર્શાવી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ તળાવ ઊંડા કરવા સાથે કચ્છના નારાયણ સરોવરને પ્રદુષણ, શેવાળથી મુક્ત કરાવવાનું કાર્ય આ અભિયાનનો જ એક ભાગ હોવાનું જણાવ્યું હતું. તેમણે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને જળસંચયની કામગીરી મોટાપાયે ઉપાડી લેવા અને લોકોને આ કાર્યમાં ઉત્સાહભેર જોડવા પર ભાર મુક્યો હતો. બેઠકમાં વિવિધ ઉદ્યોગગૃહો, એનજીઓ અને સંગઠનોના કાર્યકર્તાઓ-પ્રતિનિધિઓ જોડાયાં હતા.
(Input: Information Dept.)
Share it on
|