કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતીમાં કહેવાય છે કે ‘નવી વહુ નવ દિવસ’ એટલે કે લગ્ન કરીને ઘરમાં નવી નવી આવેલી નવોઢાનું અસ્સલ રૂપ-સ્વભાવ દસમા દિવસથી પ્રગટવાનું શરૂ થઈ જાય છે. ભુજના સુખપરમાં રહેતા પટેલ યુવકને આ કહેવતનો બીજી રીતે સાક્ષાત્કાર થઈ ગયો છે. કારણ કે, દોઢ લાખ આપીને લગ્ન કર્યાનાં નવમા દિવસે નવોઢા વહેલી પરોઢે રફૂચક્કર થઈ ગઈ છે. સુખપર ગામે માંડવી રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા 35 વર્ષિય જયંતીલાલ હિરજી મેપાણીના 31 ડિસેમ્બરનાં રોજ મહારાષ્ટ્રની શિલા નામની યુવતી સાથે લગ્ન થયાં હતા. લગ્નના નવમા દિવસે ગત 9મી જાન્યુઆરીના રોજ સવારે સાડા પાંચ વાગ્યે શિલા અને તેની સાસુ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા હતા. તે સમયે શિલા ‘હું બાથરૂમ જઈને આવું છું’ તેમ કહી ફરાર થઈ ગઈ હતી. નવોઢાની ભારે શોધખોળ છતાં તે પરત ના ફરતાં અંતે જયંતીએ માનકૂવા પોલીસ મથકે પત્નીની ગુમ થઈ હોવાની જાણ કરી છે. કચ્છખબર સાથે વાત કરતાં જયંતીએ જણાવ્યું કે, શિલાનો પરિચય વલસાડમાં રહેતાં પ્રદીપ ગોહિલ નામના એક મિત્રએ કરાવ્યો હતો. ગત 29મીના રોજ પ્રદીપ શિલા અને શિલાના ભાઈ-બહેનને લઈ સુખપર આવ્યો હતો. તેણે શિલા ગમે તો તુરંત લગ્ન કરાવી દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. આ માટે શિલાના પરિવારને દોઢ લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. લગ્નોત્સુક જયંતીએ દોઢ લાખ રૂપિયા ચૂકવી શિલા સાથે 31 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ પ્રદીપ અને શિલાના ભાઈ-બહેન પરત જતાં રહ્યા હતા. દરમિયાન, શિલા ગત નવમીની પરોઢે ફરાર થઈ ગઈ હતી. શિલા લાપત્તા થયા બાદ તેના આધારકાર્ડને ચેક કરતાં તે ખોટું હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિલા મહારાષ્ટ્રમાં જતી રહી હોવાના વાવડ મળ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પટેલ ચોવીસીમાં અગાઉ પણ અનેકવાર લગ્નના નામે યુવકો આ પ્રકારે છેતરાઈ ગયાં છે.
Share it on
|