કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા પોર્ટ નજીક OTB એન્કરેજ એરીયામાં એક જનરલ કાર્ગો શીપ અન્ય જહાજ સાથે ટકરાઈ જતાં બંને જહાજ ક્ષતિગ્રસ્ત થયાં છે. ગઈકાલે વહેલી પરોઢે સવા પાંચ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. PAC SEGINUS નામનું જહાજ OTBમાં લાંગરેલાં નોટિકલ ગ્લોબલ XVI નામના ટેન્કર શીપ સાથે ટકરાઈ ગયું હતું. જેમાં નોટિકલ ગ્લોબલનું એક લંગર તૂટી પડતાં તે એક તરફ આખું ઝુકી ગયું હતું. જો કે, બાદમાં આ જહાજને પુનઃ મૂળ સ્થિતિમાં લવાયું હતું. દુર્ઘટનામાં નોટિકલ ગ્લોબલની ટેન્કને પણ ડેમેજ થયું છે. બીજી તરફ, PAC SEGINUS નામના જહાજમાં કેટલું નુકસાન થયું છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. દુર્ઘટના બાદ તેને ત્યાં જ લાંગરી દેવાયું હતું. બે જહાજ વચ્ચેની ટક્કરની દુર્ઘટનાને સમર્થન આપી કંડલા દિનદયાળ પોર્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર ટી.શ્રીનિવાસને કચ્છખબરને જણાવ્યું હતું કે આ દુર્ઘટના અંગે અમે મરીન મર્કેન્ટાઈલ ડિપાર્ટમેન્ટ અને ડીજી શિપીંગને જાણ કરી દીધી છે. દુર્ઘટનાના લીધે પોર્ટમાં આવાગમન કરતાં અન્ય જહાજોની મુવમેન્ટ પર કોઈ અસર થઈ નથી અને પોર્ટની કામગીરી રાબેતા મુજબ યથાવત્ છે. નોટિકલ ગ્લોબલ નામનું જહાજ કૉર્ટ અરેસ્ટ છે અને છેલ્લાં એક વર્ષથી તે OTB એન્કરેજ એરીયામાં લાંગરેલું પડ્યું છે. નુકસાની અંગે ઈન્સ્યોરન્સ સર્વેયર દ્વારા ક્યાસ કાઢવામાં આવશે.
Share it on
|