કચ્છખબરડૉટકોમ, ભુજઃ અંજાર તાલુકાના દુધઈ નજીક કોટડા દુધઈ હાઈવે પર ઈનોવા કાર પલ્ટી જતાં વડોદરાના દેસાઈ પરિવારના 76 વર્ષિય વૃધ્ધનું મોત થયું છે. જ્યારે ડ્રાઈવર સહિત 4 વયોવૃધ્ધ પ્રવાસીઓને નાની મોટી ઈજા થતાં તેમને ભુજ ખસેડાયાં છે. આજે સવારે સાડા છ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. વડોદરાનો પરિવાર ભુજ તરફ આવી રહ્યો હતો પૂરપાટ ઝડપે જતી ઈનોવા કારના ચાલકે એકાએક વાહન પરથી કાબૂ ગુમાવી દેતાં કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં ગંભીર ઈજાઓ થતાં મહેન્દ્રભાઈ નાનુભાઈ દેસાઈ નામના 76 વર્ષિય વૃધ્ધનું મોત નીપજ્યું હતું. તો, કારમાં સવાર અરૂણાબેન મહેન્દ્રભાઈ દેસાઈ (ઉ.વ.73), કિરીટભાઈ વેલાભાઈ દેસાઈ (ઉ.વ.74), જ્યોતિબેન કિરીટભાઈ દેસાઈ (ઉ.વ.70) અને વિશાલ હરેશ પાટીલ (ઉ.વ.23) નામના ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને દુધઈ સીએચસી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ સઘન સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયાં છે. અકસ્માતગ્રસ્તો ભુજમાં ફરવા આવ્યાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
Share it on
|