કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ખાનગી કંપનીમાં કામ કરતી મહિલા સહકર્મીને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરવાનાં એક દાયકા જૂના ચકચારી કેસમાં ગાંધીધામ કૉર્ટે એક મહિલા સહિત ત્રણ આરોપીને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે એક મહિલા આરોપીને નિર્દોષ જાહેર કરી છે. ગાંધીધામ નજીક કોસ્મેટિક્સ અને સુગંધિત સ્પ્રેનું ઉત્પાદન કરતી બાકરોઝ કંપનીમાં મૃતક વનિતાબેન રાયશી મહેશ્વરી કામ કરતી હતી. કંપનીમાં વનિતાનો સહકર્મી નવીન ઊર્ફે નારણ કરશન મહેશ્વરી તેની પાસે અનૈતિક સંબંધ બાંધવા અને જો સંબંધ ના રાખે તો તેને બદનામ કરવાની ધાક-ધમકી આપતો રહેતો હતો. નારણની પત્ની ડાઈબેન, રાજબાઈ પૂનમ ચુઈયા, ગુણવંત કલાભાઈ શ્રીમાળી વગેરે સહકર્મીઓ પણ વનિતાને માનસિક ત્રાસ આપતાં હતા. તેમનાં માનસિક ત્રાસથી કંટાળીને વનિતાએ 12 જાન્યુઆરી 2007ના રોજ એસીડ પીને આપઘાત કરી લીધો હતો. એક દાયકા જૂના આ બનાવે જે-તે સમયે ભારે ચકચાર સર્જી હતી. આ કેસમાં જે-તે સમયે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી બાદમાં ચારેય જણાં જામીન પર મુક્ત થઈ ગયાં હતા. આપઘાત કરતાં પૂર્વે વનિતાએ સ્યુસાઈડ નોટ લખી હતી. તો, હોસ્પિટલમાં ગંભીર હાલતમાં તેણે જે-તે સમયે ડૉક્ટરને લેખીતમાં આરોપીઓના નામ આપી તેમના માનસિક ત્રાસથી એસીડ પીધું હોવાનું જણાવ્યું હતું. આ ચકચારી કેસમાં ભારે આરોહ-અવરોહ બાદ આજે કૉર્ટે મેડિકલ ઑફિસર, તપાસકર્તા પોલીસ અધિકારી અને હસ્તાક્ષર નિષ્ણાતે આપેલી જુબાનીઓ તેમજ સરકારી વકીલ ડી.બી.જોગીની ધારદાર દલીલોના આધારે ત્રણ આરોપીને પાંચ-પાંચ વર્ષની કેદ સાથે પાંચ-પાંચ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. ગાંધીધામના એડિશનલ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે આરોપી નવિન ઊર્ફે નારણ કરશન મહેશ્વરી, ગુણવંત કલાભાઈ મહેશ્વરી અને રાજબાઈ પૂનમ ચુઈયાને IPC 306 હેઠળ દોષી ઠેરવી પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે, નારણની પત્ની ડાઈબેનને કૉર્ટે નિર્દોષ જાહેર કરી છે. કેસમાં મૂળ ફરિયાદ પક્ષે એડવોકેટ વી.સી.તેજવાણી પણ હાજર રહ્યા હતા.
Share it on
|