કચ્છખબરડૉટકોમ, બ્યૂરોઃ ચારણ-ગઢવી સમાજની ક્રાંતિના પ્રણેતા આઈશ્રી સોનલમાના વિચારો સમાજની એકતા અને વિકાસને દ્રઢ બનાવે તે હેતુથી તાલાલામાં ચારણ સમાજ સંગઠન સમિતિ દ્વારા મકરસંક્રાતિના પર્વે સામાજીક સંમેલન યોજાયું હતું. ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમા સંમેલનમાં કચ્છ સહિત ગુજરાતભરમાં વસતાં સમાજનાં લોકો હોંશભેર ઉમટી પડ્યાં હતા. સવારે સાત વાગ્યે યજ્ઞવિધિ સાથે સંમેલનનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે વિવિધ સામાજિક આગેવાનોએ સમાજના ઉત્કર્ષ માટે તેમના વિચારો વ્યક્ત કર્યાં હતા. સંમેલનમાં સમાજનું નામ ઉજાળનાર પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. બપોરે મહાપ્રસાદ અને બાદમાં સંગીત સાહિત્યની ગોષ્ઠિનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સમાજની એકતા અને સંગઠિતતા વધારવા પર ભાર મુકાયો હતો. તો, શિક્ષણનો વ્યાપ વધારવા આગેવાનોએ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૂળ માંડવીના ભાડા ગામના વતની અને હાલે વેરાવળમાં સ્થાયી થયેલ ગઢવી પરિવાર સંમેલનનો યજમાન બન્યો હતો.
Share it on
|