કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજય ટી પટેલ વિરૂધ્ધ ગત 11 મે 2017નાં રોજ નોંધાયેલી મારામારીની ફરિયાદ સંદર્ભે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આજે તેમની વિધિવત્ ધરપકડ કરી હતી. જો કે, આ કેસમાં એસ.ટી. પટેલ વિરૂધ્ધ લાગેલી કલમો અંતર્ગત ગુનો સાત વર્ષથી ઓછી સજાને પાત્ર હોઈ પોલીસ મથકમાંથી જ એસ.ટી. પટેલને 6 કલાક બાદ જામીન પર મુક્ત કરી દેવાયાં હતા. નેશનલ કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલક પિતા-પુત્ર ખીમજી હરજી પટેલ અને રમેશ ખીમજી પટેલે નાણાંની અવેજપેટે એસ.ટી. પટેલના પત્નીના નામે ભુજની દ્વિધામેશ્વર કોલોનીના લખી આપેલા બંગ્લોનો કબ્જો લેવા જતાં આ ડખ્ખો સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, ફૂલેકું ફેરવનારાં રમેશ પટેલની તાજેતરમાં જ પોલીસે ધરપકડ કરેલી છે. ફરિયાદમાં એસ.ટી. પટેલે રિવોલ્વર દેખાડી ધાક-ધમકી કરવા કોશીશ કરી હોવાનો ઉલ્લેખ હોઈ પોલીસે તપાસના કામે એસ.ટી. પટેલની લાયસન્સવાળી રિવોલ્વર પણ કબ્જે કરી છે. જો કે, આ રિવોલ્વર પટેલે અગાઉ જમા કરાવી દીધી હતી.
જામીનલાયક ગુનો છતાં કૉર્ટમાં રજૂ કરવા પોલીસે સેવ્યો દુરાગ્રહ
એસ.ટી.પટેલ સામે થયેલી ફરિયાદમાં IPC 343, 347, 348, 503, 323, 324 વગેરે કલમો લાગેલી છે. પટેલે કચ્છખબરને જણાવ્યું કે, આ કલમો હેઠળ સાત વર્ષથી ઓછી સજા થાય છે. આવા કેસમાં આરોપીને પોલીસ મથકમાંથી જામીન મળી જતાં હોય છે. તેમ છતાં પોલીસે તેમને જામીન પર મુક્ત કરવાના બદલે કૉર્ટમાં રજૂ કરવાનો દુરાગ્રહ રાખ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં વકીલ અને પોલીસ વચ્ચે આ મુદ્દે ઉગ્ર દલીલબાજી થઈ હતી. એક તબક્કે પટેલે પોલીસને તેની જ ‘ભાષા’માં જવાબ આપી દીધો હતો. વકીલે સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો ભંગ થતો હોવાનો મુદ્દો રજૂ કરી પોતાને શા માટે કૉર્ટમાં જ રજૂ કરવા પોલીસ દુરાગ્રહ રાખે છે તે અંગે લેખીત ખુલાસો આપવા જીદ પકડી હતી. વાત છેક એસપી, આઈજી અને ગાંધીનગરસ્તરે પહોંચતાં મામલો ગરમાયો હતો. છેવટે પોલીસે નમતું જોખીને પટેલને પોલીસ મથકમાં જ જામીન પર મુક્ત કરી દીધાં હતા. સવારે 11 વાગ્યે પોલીસ મથકે હાજર થયેલાં પટેલનો સાંજે પાંચ વાગ્યે છૂટકારો થયો હતો.
Share it on
|