કચ્છખબરડૉટકોમ, ભુજઃ ફી નિયમનના કડક અમલની માંગણી સાથે આજે ગુજરાત વાલી મંડળ દ્વારા રાજ્યવ્યાપી શાળા બંધનું એલાન અપાયું હતું. જો કે, કચ્છમાં આ બંધની કશી અસર જોવા મળી નહોતી. સવારથી જ તમામ ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. જિલ્લા શિક્ષણાધિકારી પી.કે. સ્વર્ણકારે કચ્છખબરને જણાવ્યું કે, અમે સવારથી ક્યાંય શિક્ષણકાર્ય અવરોધાય નહીં તેનું મોનિટરીંગ રાખ્યુ હતું પરંતુ રાજ્યવ્યાપી બંધની કચ્છમાં ક્યાંય ખાસ કશી અસર જોવા મળી નથી. બીજી તરફ, વાલી મંડળ વતી લોકોને બંધમાં સ્વૈચ્છિક રીતે જોડાઈ સહકાર આપવા અપીલ કરનાર ઘનશ્યામસિંહ ભાટીએ દાવો કર્યો હતો કે અમારી અપીલને અનુસરીને અનેક વાલીઓએ તેમના સંતાનોને શાળાએ નહોતા મોકલ્યાં. બંધના એલાન સંદર્ભે ગઈકાલે વિવિધ શાળાઓમાં શિક્ષણ કાર્ય અંગે સામાન્ય અસમંજસ જોવા મળી હતી. જો કે, આજે સવારથી ભુજ-ગાંધીધામ, અંજાર, મુંદરા, નખત્રાણા સહિતના શહેરોમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલુ રહ્યું હતું. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ બંધનો ફિઆસ્કો થયો હતો. જો કે, અમદાવાદ અને વડોદરાની કેટલીક સ્કુલોએ સજ્જડ બંધ પાળ્યો હતો. દરમિયાન, વાલી મંડળ દ્વારા આગામી સપ્તાહથી કચ્છમાં ઊંચી ફી ઉઘરાવતી શાળાઓ વિરૂધ્ધ ઝુંબેશ છેડવાનું આયોજન ઘડાયું હોવાનો ભાટીએ જણાવ્યું છે.
Share it on
|