કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોંગ્રેસશાસિત પંજાબના નાણાંમંત્રી મનપ્રીતસિંઘ બાદલ આજે ભુજની મુલાકાતે આવ્યા હતા. ભુજમાં પત્રકારો સાથે વાર્તાલાપ દરમિયાન તેમણે ગુજરાતમાં 22 વર્ષના શાસનમાં કોઈ વિકાસકામો ના થયાં હોવાનું જણાવી નરેન્દ્ર મોદીએ રચેલી માયાજાળથી મુક્ત થવા અપીલ કરી હતી. પંજાબમાં કોંગ્રેસની સરકારને તેમણે વિકાસ મોડેલ તરીકે ગણાવતાં જણાવ્યું હતું કે, અમારી સરકાર આવ્યા બાદ અમે એકઝાટકે પ્રત્યેક ખેડૂતદીઠ બે લાખ રૂપિયાનું દેવુ માફ કરી દીધું હતું. કન્યા કેળવણીને વેગ આપવા કન્યાઓ માટે તમામ સ્તરે મફત શિક્ષણ કરી દીધું છે. મહિલા સશક્તિકરણને વેગ આપવા 50 ટકા અનામત આપી છે. તેની સામે ગુજરાતમાં 22 વર્ષથી સારા રોડ-રસ્તા કે પાયાની સુવિધાઓના દાખલા ગણાવી તેને વિકાસમાં ખપાવાઈ રહી છે. વીઆઈપી કલ્ચર દૂર કરવા પંજાબ સરકારે જ મંત્રીઓની કાર પરની લાલ લાઈટ દૂર કરવા સૌપ્રથમ નિર્ણય લીધો હતો. કોંગ્રેસ સરકારે ક્યાંય કોઈ પ્રોજેક્ટનું નિર્માણ થાય તો તકતી લગાડવાનું બંધ કર્યું છે. જો આગ્રહ થાય તો “આ કરદાતાના નાણાંમાંથી નિર્માણ પામી રહ્યું છે” તે લખાણ લખેલી તકતી લગાડવાનું શરૂ કર્યું છે. થોડાંક વર્ષો પૂર્વે કચ્છમાં પંજાબી ખેડૂતોની જમીન માલિકી પરત લેવાનાં સર્જાયેલાં વિવાદ સંદર્ભે તેમણે જણાવ્યું કે, દેશમાં ગુજરાત જેવો કાયદો બીજે ક્યાંય નથી અને આવા નિયમ જરાપણ યોગ્ય નથી.
Share it on
|