કચ્છખબરડૉટકોમ, ભુજઃ છકડો રીક્ષા ઉભી રાખવાના મુદ્દે થયેલી હિંસક મારામારીમાં એક જણાં પર તલવારથી ઘાતક હુમલો કરનારાં આરોપીને ભુજની સેશન્સ કૉર્ટે 3 વર્ષની સખત કેદની સજા અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો અન્ય બે સહઆરોપીને કૉર્ટે છ માસની સાદી કેદની સજા કરી છે. મુંદરા તાલુકાના કણજરા ગામે ચામુંડા માતાના મંદિર નજીક ગત 19મી જૂલાઈ 2013નાં રોજ મારામારીનો બનાવ બન્યો હતો. છકડો ઉભો રાખવાના મુદ્દે થયેલી બબાલમાં ગામનાં ભીમા દેવાયત અને લાલજી નામના બે જણને દિલીપસિંહ જુવાનસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા અને સુખુભા ખોડુભા જાડેજાએ માર માર્યો હતો. મારામારી દરમિયાન ઉશ્કેરાયેલાં દિલીપસિંહે સાહેદ લાલજીના માથામાં તલવાર મારતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવમાં આરોપીઓ સામે આઈપીસી 323 અને 114 હેઠળ મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આજે આ કેસમાં ભુજની કૉર્ટે દિલીપસિંહને આઈપીસી 323 હેઠળ દોષી માની 3 વર્ષની સખત કેદ અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ના ભરે તો આરોપીને વધુ 1 માસની કેદ કરવા હૂકમ કર્યો છે. સહઆરોપી રાજેન્દ્રસિંહ જાડેજા અને સુખુભા જાડેજાને કલમ 114 હેઠળ મદદગારી કરવામાં અપરાધી ઠેરવી તેમને છ-છ માસની સાદી કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલ એચ.બી.જાડેજાએ 10 દસ્તાવેજી પૂરાવા અને 12 સાક્ષીઓની જુબાની કૉર્ટમાં રજૂ કરી ધારદાર દલીલો કરી હતી. જજ ટી.કે.રાણાએ આ ચુકાદો આપ્યો છે.
Share it on
|