કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામે ઘર પાસેથી વહેતાં ગટરના પાણી અટકાવવા અંગે રજૂઆત કરવા ગયેલાં ગ્રામજનો અને ગામના સરપંચ-તેના સાગરિતો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ બન્યો છે. આજે સવારે 11 વાગ્યાના અરસામાં ચાંદ્રોડી ગામના મેઈન રોડ પર આવેલી પાપડી પાસે હુમલાનો બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્ત જખરાભાઈ બીજલ ભરવાડ (ઉ.વ.46) અને મેરાભાઈ બીજલ ભરવાડ (ઉ.વ.42) પોલીસને આપેલી પ્રાથમિક માહિતી મુજબ તેમના પર ગામના સરપંચ ધરમશી ડાયા આહીર, પુના ડાયા આહીર, વાલા ડાયા આહીર, મેપા ગોકળ આહીર, મોહન પુના આહીર અને તેમના અન્ય સાગરીતોએ ધારીયા-ધોકાઓથી હુમલો કર્યો હતો. ભરવાડબંધુઓના ઘરે પ્રસંગ આવતો હોઈ તેમના ઘર પાસેથી વહેતા ગટરના ગંદા પાણી બંધ કરાવવા તેમણે સરપંચને રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનું મનદુઃખ રાખી આજે ગાડીમાં આવીને તેમણે હુમલો કર્યો હોવાનું પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષ બાબુલાલને ઘાયલોએ જણાવ્યું હતું. બીજી તરફ, સરપંચ પક્ષના કેટલાંક લોકો પણ મારામારીમાં ઘવાતાં વાગડ વેલફેર હોસ્પિટલમાં દાખલ થયાં હોવાનું લાકડીયા પોલીસે જણાવ્યું છે. હુમલામાં બંને પક્ષના લોકોને મુઢ માર જેવી ઈજાઓ થઈ હોવાનું હેડ કોન્સ્ટેબલ મનીષભાઈએ જણાવ્યું છે. બનાવ સંદર્ભે લાકડીયા પોલીસ મથકે બંને પક્ષની સામસામી વિધિવત ફોજદારી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
Share it on
|