કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં પતિએ તેનાથી અલગ રહેતી પત્નીને ડિઝલ છાંટી જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બન્યો છે. સદભાગ્યે અડોશપડોશના લોકો એકઠાં થઈ જતાં મહિલા બચી ગઈ હતી. બનાવ સંદર્ભે મહિલાએ તેના પતિ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની કલમ તળે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સાજીદા ઓસમાણ શેખ (ઉ.વ. 26, રહે. મોમાયનગર, અંજાર)ને તેના પતિ ઓસમાણ સાથે અવારનવાર કંકાસ થતો હોઈ તે પાંચ અને ત્રણ વર્ષની પુત્રીઓ સાથે પતિથી અલગ રહે છે. સાજીદાએ ઓસમાણ પર આઈપીસી 498 હેઠળ ભરણપોષણનો કેસ પણ કરેલો છે. દરમિયાન, આજે બપોરે બે વાગ્યાના અરસામાં તેનો પતિ ઓસમાણશા કાસમશા શેખ (રહે. સીતારામ પરિવાર, કોલીવાસ) મોમાયનગરમાં પત્ની સાજીદા પાસે આવ્યો હતો. ઓસમાણે સાજીદાને બંને પુત્રીઓ પાછી સોંપી દેવા અને તેના પર કરેલાં કેસ પાછા ખેંચી લેવા ધાકધમકી આપી હતી. જો કે, સાજીદાએ તેનો ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલા ઓસમાણે તેની સાથે લાવેલા કેનમાંથી સાજીદા પર ડિઝલ છાંટ્યું હતું. ઓસમાણ કાંડી ચાંપવા જતો હતો પરંતુ સાજીદાની રાડારોળના પગદલે એકત્ર થઈ ગયેલાં આસપાસના લોકોએ ઓસમાણને પકડી લીધો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ અંજાર પોલીસે ઓસમાણની ધરપકડ કરી લીધી હોવાનું તપાસકર્તા પીએસઆઈ જે.જે.જાડેજાએ જણાવ્યું હતું.
Share it on
|