કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના ખંભરા ગામે ગત મધરાત્રે રહેણાંક મકાનમાં ત્રાટકેલાં ત્રણ બુકાનીધારી લૂંટારુ ગૃહિણીને છરી બતાડી ઘરમાં પડેલી રોકડ રકમ અને દરદાગીના સહિત પોણા 4 લાખ રૂપિયાની માલમત્તા લૂંટી ગયા હોવાનો બનાવ અંતે ખોટો પૂરવાર થયો છે. પોલીસને પહેલાંથી જ લૂંટની કથિત ફરિયાદમાં ભેદભરમ જણાતો હતો. તેથી પોલીસે ફરિયાદી મહિલા શંકરબા ચંદુભા સોઢા (ઉ.વ.30)ની ઉલટતપાસ કરતાં તે ભાંગી પડી હતી અને ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું. શંકરબાએ પોલીસને જણાવ્યું કે, હકીકતમાં જે નાણાં-દાગીનાની લૂંટ થઈ હોવાનું તેણે કહ્યું છે તે નાણાં ઘણાં સમય પહેલાં તેણે વાપરી નાખ્યા હતા અને દાગીના વેચી માર્યાં હતા. ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો શંકરબાનો પતિ ચંદુભા પોતે કમાયેલાં નાણાં પત્નીને રાખવા આપતો હતો અને પુત્રના લગ્ન માટે તેની બચત કરવા જણાવતો રહેતો હતો. પરંતુ, શંકરબાએ પતિએ આપેલા નાણાં-દાગીના વાપરી-વેચી ખાધા હતા. અત્યારસુધી શંકરબાની પોલ પાધરી થઈ નહોતી પરંતુ નજીકના દિવસોમાં 22 વર્ષના પુત્ર મયૂરસિંહના લગ્ન લેવાનું નક્કી થતાં તેને પોલ પાધરી થવાનો ડર પેઠો હતો. જેથી તેણે લૂંટનું ખોટું નાટક રચ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, શંકરબા મયૂરસિંહની ઓરમાન માતા છે. મયૂર ગઈકાલે રાત્રે કપડાંની ખરીદી માટે ભુજ આવ્યો હતો અને ભુજમાં જ રોકાઈ ગયો હતો. ગઈકાલે રાત્રે ઘરમાં શંકરબા, તેના બે નાનાં પુત્રો અને વૃધ્ધ સાસુ સૂતાં હતા. પતિ નોકરી પર ગયો હતો. તેથી તેણે મોકાનો લાભ લઈ લૂંટનું તરકટ રચ્યું હતું. જો કે, પીઆઈ બી.આર. પરમાર સહિતની પોલીસ ટીમની સૂઝથી ગણતરીના કલાકોમાં તરકટનો તાગ મળી ગયો છે. કચ્છખબર સાથે વાત કરતાં પીઆઈ પરમારે જણાવ્યું કે, આ કેસમાં બી સમરી ભરી શંકરબાએ ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરી તે બદલ અલગથી તેની સામે કાયદેસર કાર્યવાહી થશે.
Share it on
|