કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર રેલવે સ્ટેશન નજીક જીઆઈડીસી સિગ્નલ પાસે બે મહિના પહેલાં 23 વર્ષના યુવક પર ઘાતક હુમલો કરી તેની હત્યા નીપજાવવાનાં બનાવમાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી યુવકના હત્યારાની ધરપકડ કરી લીધી છે. અંજારના ધબડા ચાર રસ્તા નજીક ભોલેનાથનગરમાં રહેતો શૈલેષ નટવરલાલ દરજી નામનો યુવક 23મી નવેમ્બરની સવારે અંજાર જીઆઈડીસી સિગ્નલ પાસે માથામાં ઈજા સાથે બેશુધ્ધ હાલતમાં મળી આવ્યો હતો. આગલા દિવસની રાત્રે 10 વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે તેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. શૈલેષને બેશુધ્ધ હાલતમાં અંજાર અને બાદમાં ભુજ તેમજ છેલ્લે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ, એક અઠવાડીયાની સારવાર બાદ પહેલી ડિસેમ્બરે તેનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના અંગે રેલવે પોલીસે આઈપીસી 302 હેઠળ શૈલેષના પિતા નટવરલાલની ફરિયાદ નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. રેલવે પોલીસે તપાસ માટે અલગ અલગ ટીમ બનાવી બાતમીદારો એક્ટિવ કરતાં પોલીસ સમક્ષ શકમંદ આરોપી તરીકે તેના જ ફળિયામાં રહેતા હિતેન્દ્રસિંહ જોરૂભા વાઘેલા (ઉ.વ.20)નું નામ સામે આવ્યું હતું. પોલીસે હિતેન્દ્રસિંહની અટક કરી સઘન પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
શૈલેષે ચોરી કર્યાનો શક રાખી ધારીયાથી પતાવી દીધો
હત્યા કેસનું ડિટેક્શન કરનારાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ. કપાસીએ જણાવ્યું કે, હિતેન્દ્રસિંહના ઘરમાંથી ચાંદીના દરદાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. હિતેન્દ્રસિંહને આ ચોરી માટે શૈલેષ પર શક હતો. જો કે, ચોરીના બનાવ અંગે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. શૈલેષે જ ચોરી કરી હોવાનું માનીને હિતેન્દ્રસિંહ તેને દારૂ પીવડાવવાના બહાને 22 નવેમ્બરની રાત્રે જીઆઈડીસી રેલવે ટ્રેક નજીક લઈ આવ્યો હતો. જ્યાં તે રાત્રિના અંધારામાં શૈલેષના માથામાં ધારીયાના ઘા મારી ફરાર થઈ ગયો હતો. ધારીયાને તે આસપાસની બાવળોની ઝાડીઓમાં નાખી નાસી છૂટ્યો હતો. વક્રતા એ છે કે આરોપી હિતેન્દ્રસિંહ અને મૃતક શૈલેષ બંને રાપરના કિડિયાનગરના વતની છે અને અંજારમાં પણ એક જ ફળિયામાં રહેતા હતા.
Share it on
|