કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસામાં આજે યમરાજા ભેંસના બદલે વીજળી પર સવાર થઈને આવ્યાં હોય તેમ ભાનાડા અને લાખણીયા ગામે વીજ કરંટ લાગવાની બે અલગ અલગ દુર્ઘટનામાં બે યુવકોનાં અપમૃત્યુ થયાં છે. ભાનાડા એરફોર્સમાં આજે સવારે પોણા 11 વાગ્યાના અરસામાં પાણીની મોટર ચાલુ કરવા જતાં લાગેલાં કરંટથી 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. મૃતક રણજીતકુમાર સમીરકુમાર મોરા સવારે એરફોર્સ સ્ટેશનમાં દિવાલના નિર્માણની કામગીરી સમયે પાણી છાંટતો હતો તે સમયે એકાએક મોટર બંધ થઈ ગઈ હતી. ભીના હાથે રણજીત મોટર ચાલું કરવા જતાં તેને જોરદાર આંચકો લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેને નલિયા એરફોર્સની હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. મૃતક રણજીત એરફોર્સની લેબર કોલોનીમાં રહેતો હતો અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો. મૃતકના દેહને લઈ તેનો ભાઈ અંતિમક્રિયા માટે બંગાળ રવાના થયો હતો. બનાવ અંગે કોઠારા પોલીસ મથકે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.
વીજ કરંટની અન્ય એક દુર્ઘટનાએ અબડાસાના લાખણીયા ગામના 40 વર્ષિય યુવકનો ભોગ લીધો હતો. લાખણીયા ગામે તળાવ નજીક રહેતો ઈબ્રાહીમ આમદ ઓઢેજા ઘરે લાઈટ રીપેરીંગની કામગીરી કરી રહ્યો હતો તે સમયે એકાએક જીવંત વીજવાયરને અડકી જતાં લાગેલા શૉકથી તેનું મોત નીપજ્યું હતું. ખેતમજૂરી કરી પેટિયું રળી ખાતાં ઈબ્રાહીમના મોતથી તેના સગીર વયના બે પુત્રો અને એક પુત્રી નોંધારા બન્યાં છે.
Share it on
|