કચ્છખબરડૉટકોમ, નલિયાઃ નલિયાના દરબારગઢમાં મોમાય માતાજીના મંદિર પાસે રહેતાં 90 વર્ષિય કનુભા રતનસંગ જાડેજાની હત્યા કરનારાં આરોપીને પોલીસના શ્વાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી અભા બુઢા સાટી (ઉ.વ.29) નલિયાનો જ રહીશ છે અને ખેતરના ભાગીયા પેટે નાણાંની લેતીદેતીમાં તેણે હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં કબૂલ્યું હોવાનું નલિયા પીએસઆઈ અગ્રાવતે જણાવ્યું છે. આરોપી ગત રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં નાણાંની ઉઘરાણી મુદ્દે કનુભા પાસે ગયો હતો. જ્યાં થોડીક બોલાચાલી બાદ ઉશ્કેરાઈને તેણે કનુભાના ગળાને છરીથી વેતરી નાખ્યું હતું. બનાવ બાદ ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ હતી અને આરોપીનું પગેરું દબાવવા ડૉગ સ્ક્વૉડ બોલાવાઈ હતી. પોલીસ સતર્કતા જોઈ પકડાઈ જવાની બીકે આરોપી વાડામાં બાવળોની ઝાડીમાં છૂપાઈ ગયો હતો. રાત્રે આવેલી ડૉગ સ્ક્વૉડનો શ્વાન ‘સ્મેલ’ લીધા બાદ આરોપીનું પગેરું દબાવી તે જે ઝાડીમાં છૂપાયો હતો ત્યાં સુધી પોલીસને દોરી ગયો હતો. પોલીસ અને શ્વાનને જોઈ આરોપીએ દોટ મુકી હતી પરંતુ પોલીસે પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અને તેનો પરિવાર પેઢી દર પેઢીથી કનુભાનું ખેતર ‘ભાગીયા’ તરીકે વાવતાં હતા. આ વખતે પાકને વાઢવા માટે દસેક હજાર રૂપિયાની જરૂર હોતા આરોપી નાણાં લેવા કનુભા પાસે ગયો હતો. પરંતુ, કનુભાએ નાણાં આપવાનો ઈન્કાર કરતાં આ બનાવ બન્યો હતો. જો કે, આરોપીની સઘન પૂછતાછ હજુ ચાલું હોઈ પોલીસે વધુ કશી સત્તાવાર વિગતો આપવાનું ટાળ્યું છે. હત્યાની ઘટના બાદ નખત્રાણાના વરિષ્ઠ પોલીસ અધિકારી સહિતનો આસપાસના પોલીસ મથકનો કાફલો નલિયા ધસી ગયો હતો. મૃતક કનુભા એકલવાયું જીવન ગુજારતાં હતા.
Share it on
|